ઔદ્યોગિક કારીગરો માટે સાંસદ પ્રભુભાઇ વસાવાએ લોકસભામાં કેન્દ્રીય મંત્રીશ્રી શ્રમ અને રોજગારને ESIC હોસ્પિટલ શરુ કરવા રજૂઆત કરી


ટ્રાઇબલ કિંગ : શ્રોતા, કીર્તનકુમાર ગામીત
લોકસભા સંસદીય કામગીરી દરમિયાન બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ તાપી જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકો માટે ESIC હોસ્પિટલ શરૂ કરવાની કેન્દ્રીયમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે કેન્દ્રીય મંત્રી શ્રમ અને રોજગાર, શ્રી મનસુખભાઈ માંડવીયાને તેમજ લોકસભાના અધ્યક્ષને સંબોધીને લખેલા એક પત્ર દ્વારા જણાવ્યું હતું કે, બારડોલી લોકસભા મતવિસ્તાર ખૂબ મોટો છે. આજુબાજુના વિસ્તારમાં કાપડના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિક પરિવારો ખુબ મોટા પ્રમાણમાં છે. તેમણે તા.૩૦ જુલાઈ, ૨૦૨૫ના રોજ લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે સરદાર વલ્લભભાઈ પટેલના સત્યાગ્રહની પાવન ભૂમિ એવા બારડોલી, સુરત અને આસપાસના વિસ્તારમાં ૧ હજાર કરતા વધારે વસ્ત્ર ઉત્પાદન એકમો આવેલા છે અને આવા પ્રત્યેક એકમમાં ૧-૧ હજાર જેટલા કામદારો કામ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતી કર્મચારી રાજ્ય વીમા નિગમની ESIC હોસ્પિટલમાં આવા શ્રમિકોની સારવાર મફતમાં તેમજ રાહતદરે કરવામાં આવતી હોય છે. અહીના વિસ્તારમાં આવી એકપણ હોસ્પિટલ અસ્તિત્વ ધરાવતી ન હોય વહેલી તકે આવી હોસ્પિટલ શરુ કરવા વિનંતી કરી હતી.



